Friday, October 16, 2020

હૃદયનો સિક્કો

હું નિશાંક મોદી, આ નીચે લખેલ વાર્તા મારી લખેલી નથી, પરંતુ નાનપણમાં આ વાર્તા મેં અંગ્રેજીમાં વાંચી હતી અને આ વાર્તા કે દંતકથા મને ખુબ જ ગમી હતી અને છે. હાલ હું માત્ર એનો અનુવાદ (કદાચ મારી યાદ અને શબ્દો પ્રમાણે જ) કરું છું અને આ વાર્તા પર મારો કોઈ જ કોપીરાઈટ નથી. 

આશા રાખું છું આપને પણ આ વાર્તા ગમશે
*****************************
હૃદયનો સિક્કો

ઘણા વર્ષો પહેલા, એક વખત બૌદ્ધ ધર્મના સંતોએ ભેગા મળીને એક ભગવાન બુદ્ધનું ગોલ્ડ સ્ટેચ્યુ બનાવવાનું નક્કી કર્યું. પહેલી સમસ્યા એવી આવી કે આટલું બધું સોનુ લાવવું ક્યાંથી? એક વિદ્વાન સાધુએ સુજવ્યું કે આસપાસના બે ચાર ગામની મુલાકાત લો. ગામના લોકોને સમજાવો કે અમારે આપણા સૌ માટે એક ભગવાન બુદ્ધનું સ્ટેચ્યુ બનાવવું છે તો આપ યથાશક્તિ જે કાંઈ સોનામહોર કે દાગીના આપી શકો તો આપો. અમે આપેલું સોનાનું દાન ભેગું કરી, એને પીગાળી પછી એમાંથી કારીગરોની મદદથી સ્ટેચ્યુ બનાવીશું.

આ ઉપાય સાથે બધા જ સંતોએ આસપાસના ગામ તરફ દોટ મૂકી. પહેલા ઘરેથી દસ સોનામહોર, બીજા ઘરેથી ચાર પાંચ દાગીના એમ એમ કરતાં જોતજોતામાં તો અઢળક સોનુ ભેગું થઈ ગયું. એક ગરીબની ઝુંપડીમાંથી એક બાળકી જોઈ રહી હતી. એણે એની મમ્મીને પૂછ્યું કે, "આ લોકો શું કરી રહ્યા છે?" ત્યારે એની મમ્મીએ કહ્યું કે, "ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે આ લોકો સોનું આપી રહ્યા છે." છોકરીએ કહ્યું કે, "તો હે મમ્મી! આપડે કેમ નથી આપતા?" સમજાવતા કહ્યું કે, "બેટા, આપણી જોડે સોનું હોત તો કઈ આપણે આ ઝૂંપડીમાં થોડા રહેતા હોત"

નાની છોકરીએ જીદ પકડી અને એક કાંસાનો સિક્કો લઈ સંતોને આપવા દોડી. સંતોએ જોયું કે બાળકી કાંસાનો સિક્કો આપી રહી છે. એમણે પ્રેમથી કહ્યું કે, "ના બેટા, અમે માત્ર સોનું જ લઈએ છીએ." બાળકી ઘરે રોતા રોતા પાછી આવી. એને વધુ તો ખ્યાલ ન આવ્યો પણ એટલું લાગી આવ્યું કે મારા આપેલા સિક્કાની કોઈ કિંમત નથી.

આશા કરતા વધારે સોનું ભેગું થઈ ગયું, બધું જ ભઠ્ઠીમાં પીગાળવાનું શરૂ થઈ ગયું. પંદર દિવસમાં તો સ્ટેચ્યુ તૈયાર થઈ ગયું. આટલા મોટા સોનાના અને આકર્ષક સ્ટેચ્યુને જોવા લોકોની ભીડ એકઠી થઈ. બધું જ ખૂબ સારી રીતે પાર પડ્યું. પણ જ્યારે ભગવાન બુદ્ધના ચહેરા સમક્ષ નજર ગઈ તો એવું લાગ્યું કે એમના ચહેરા પર સ્મિત ન હતું અને એના કારણે ચહેરો આકર્ષક ન'તો લાગતો. જાણે કઈક ખૂટતું હોય એવું લાગ્યું. બધાની સલાહ સાથે બે ત્રણ વાર સ્ટેચ્યુને પીગાળી ફરી ફરી એનું નિર્માણ થયું. દર વખતે એવું જ બન્યું અને મૂર્તિના ચહેરા પર તેજ ન આવ્યું.

ફરી વિદ્વાન સંતની સલાહ લેવામાં આવી. એમણે પૂછ્યું કે, "સોનું તમે દરેકની મરજીથી લીધું છે ને કોઈ બળજબરી કે ખોટી વાત ફેલાઈને નથી માગ્યું ને?" બધાનો જવાબ એક જ હતો "ના" વિદ્વાને ફરી પૂછ્યું કે, "કોઈની આપેલી ભેટનો તમે અસ્વીકાર કર્યો તો?" બધા જ કહે "ના" ત્યાં જ એક સંતને યાદ આવ્યું કે, "ગુરુજી, આમ તો કોઈના સોનાની ભેટનો અસ્વીકાર નથી કર્યો પણ હા એક બાળકીના આપેલા કાંસાના સિક્કાને અમે ના પાડી હતી" વિદ્વાને કહ્યું, "એ જગ્યાએ જાઓ, બાળકીને શોધો અને એના આપેલા કાંસાના સિક્કાને લઈ આવો"

આખું સંતોનું ટોળું પેલી ઝુંપડી પાસે પહોંચ્યું અને પેલી બાળકી પાસે કાંસાના સિક્કાનું દાન માંગ્યું. નાની છોકરીએ ખૂબ ખુશ થઈને એ સિક્કો સંતોને આપ્યો. સંતો એ કાંસાનો સિક્કો લઈને પાછા ફર્યા. મૂર્તિને ફરી પીગાળી એમાં કાંસાનો સિક્કો નાખ્યો અને ફરી મૂર્તિ નિર્માણ શરૂ થયું. થોડીક મહેનત બાદ ભગવાન બુદ્ધની મૂર્તિ તૈયાર થઈ ગઈ. આ વખતે મૂર્તિ આકર્ષક, ચહેરા પર સ્મિત અને તેજ સૌથી સારું હતું. સૌ ખુશ થઈ ગયા અને મૂર્તિને અનાવરણ માટે મૂકી. લોકો ભેગા થયા અને મૂર્તિનું અનાવરણ થયું ત્યારે જોવા મળ્યું કે, કાંસાનો સિક્કો પીગળ્યો જ ન હતો અને ભગવાન બુદ્ધના હૃદય પાસે જડી ગયો હતો.

સાર: શુદ્ધ મનથી થયેલું કામ ઈશ્વરને ગમે છે. ઈશ્વર કદીય ભેટસોગાદોની કિંમત નથી આંકતો અને એને જે ગમે એ પોતાના હૃદયમાં સ્થાપે છે.

No comments:

Post a Comment