‘હાશ કાર્તિક, ઘરે તો
પહોંચ્યા, હવે બસ થોડો આરામ કરવો છે.’ પંદર
દિવસના હનીમુન પરથી પાછા ફરેલા તુલસી અને કાર્તિક ખુબ થાકી ગયા હતા. કાશ્મીર જેવી
જગ્યા છોડવાનું કોને મન થાય પણ ઘરમાં પાછા આવ્યા પછી જે પહેલો શબ્દ ઉચ્ચારાય એ ‘હાશ’
જ હોય ને અને ઘરને પણ કઈ જન્નતથી થોડું ઓછું અંકાય. એક મહિના પહેલા થયેલા લગ્નથી
કાર્તિક અને તુલસી ખુબ ખુશ હતા અને લગ્ન પછી પતિ-પત્ની ઓછામાં ઓછું એક મહિનો તો
ખુશ રહેતા જ હોય છે ને. તુલસી જેવી સુંદર પત્ની અને કાર્તિક જેવો ઉચ્ચ વિચારવાળો
પતિ બંને એકબીજા માટે પ્રેરણારૂપ હતા. હનીમુનના રોમેન્ટિક થાક બાદ એક અઠવાડ્યું
વીતી ચૂક્યું હતું.
આમ
તો દરેક ઘરમાં તપેલો અને તપેલી (એટલે કે પતિ અને પત્ની) તો ખખડતા જ હોય છે પણ
ઘણીવાર ઘરના સભ્યો પણ આવા શીતયુદ્ધનો ભોગ બની જતા હોય છે. અને આજ રીતે તુલસી અને
કાર્તિકની હળવી રકઝકમાં કાર્તિકના માતા સોનાક્ષીબેન વચ્ચે પડ્યા. ‘તમે વચ્ચે ના
પડો બા અમારી બાબતમાં...’ તુલસીના એક વાક્યથી સોનાક્ષીબેનને ખસી જવું પડ્યું. એક
ભૂલ માફ કરી દેવાય પણ વારંવાર સામા જવાબો આપતી વહુને કેમ કરી રોકવી એ કામ થોડું
અઘરું હોય છે. કાર્તિકની હાલત પેલા સુડી વચ્ચે સોપારી જેવી થતી. સોનાક્ષીબેન તો
વહુને દીકરી બનાવી ચુક્યાતા પણ તુલસીના પાનમાં હજીય કડવાશ બાકી હતી.
છ
મહિનામાં તો સાસુ-વહુ જાણે ભારત-પાકિસ્તાન બની ચુક્યાતા, જેમાં સરહદ પર રહેતો જવાન
આપણો કાર્તિક રોજ સુલેહ કરવામાં મદદ કરતો. પણ આ સંબંધ ક્યાં કદીય સુધર્યો તો કે
સુધરવાનો છે. તુલસીની કાર્તિક જોડે પણ રોજની રામાયણ ચાલ્યા કરતી પણ તુલસીની એના
સાસુ જોડે થતી મહાભારત વધુ ગાઢ બનવા લાગી. કાર્તિકના પિતાની હાલતતો સંસારમાંથી
નિવૃત થયેલા સાધુ જેવી હતી. આખો દિવસ મંદિરમાં ભજન કરે, બે વખત ઘરે જમવા આવે અને
રાત્રે સાત કલાક ઊંઘવા. એમને આ ઝગડામાં સલાહસૂચન કે સુલહ કરવામાં કોઈ જ રસ ન હતો.
એમને તો એ જ હાથમાં ભક્તિની માળા અને મુખમાં રામનું નામ એમાં જ રસ હતો.
સાસુ-વહુના
ઝગડાથી પડોશીઓ કંટાળી ગયા તા, કાર્તિકની તો વાત જ શું પૂછવી. રોજે રોજના ઝગડાથી
કાર્તિક હવે કંટાળ્યોતો. એક દિવસ સોનાક્ષીબેન પતિ સાથે બહાર ગયા તા ત્યારે
કાર્તિકે તુલસીને બોલાવી ને એક વાત પૂછી. ‘હું આ તારા અને મમ્મીના ઝગડાથી થાકી ગયો
છું. મારી પાસે તો હવે બે જ રસ્તા છે. કાંતો હું તને છૂટાછેડા આપી દઉં કાંતો હું
મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. આ સિવાય તારી પાસે જો કોઈ ઉપાય હોય તો કહે.’
કાર્તિકની આ વાત હચમચાવી દે તેવી હતી પણ તુલસી માટે જાણે આ ખુશીની વાત હોય એવું
લાગ્યું.
કાર્તિકને
એમ કે તુલસી કદાચ કોઈ વચગાળાનો રસ્તો કાઢશે પણ એને તો મમ્મીને વૃદ્ધાશ્રમમાં
મુકવાની વાતને પસંદગી આપી. કાર્તિકે બે દિવસ વિચાર કર્યો અને પછી એક દિવસ
મમ્મી-પપ્પાને એકાંતમાં રૂમમાં બોલાવ્યા. બહાર ઉભેલી તુલસી સમજી ગઈ હતી કે હવે આ
ઉપવન એનું જ છે. પાંચ-દસ મીનીટ બાદ રૂમમાંથી આક્રંદ રુદનનો અવાજ આવ્યો. તુલસીના
છોડ પર જાણે ફૂલ આવ્યા હોય એમ તેનું મન ઝૂમી ઉઠ્યું.
આંખો
પાલવથી લૂછતાં લૂછતાં સોનાક્ષીબેન અને તેના પતિ બહાર આવ્યા. એમણે તુલસીના માથે હાથ
મુકતા કહ્યું, “દીકરી,
આ કાર્તિક શું કહે છે. તું પણ આ જ નિર્ણય ઈચ્છે છે. હજુ પણ એકવાર વિચારી જોજે’ તુલસીના
મૌનથી નકારાત્મક જવાબ મળી ચુક્યોતો.
ઘરના
બે દિવસ તો એટલી શાંતિ છવાઈ કે જાણે ભારત-પાકિસ્તાન ફરી એક થઇ ગયા હોય પણ સરહદ પરનો
કાર્તિક તો હજુય મૂંઝવણમાં હતો કે આ તોફાન પહેલાની તો શાંતિ નથી ને. અને પછી
ત્રીજા દિવસે તોફાન થયું. આમ જુઓ તો સાસુ-વહુના ઝગડામાં ક્યારેય મોટો વિવાદ હોતો
નથી પણ આ નાનો વિવાદ ઘરની બધી જ શાંતિ હણી લે છે. કાર્તિકે હવે પોતાના શસ્ત્રનો
ઉપયોગ કરતો હોય એમ બોલ્યો, ‘કાલે તમે બધા જ તૈયાર રહેજો આપણે થોડી વકીલની
ફોર્માલીટી પૂરી કરવા જવાની છે. હું હમણાં જ શ્રીધરને ફોન કરું છું’ તુલસીના
ફૂલોમાં જાણે સુગંધ આવી હોય એમ સમજી ગઈ કે કાલે વૃદ્ધાશ્રમમાં એડમિશન પહેલાની
ફોર્માલીટી કરવામાં આવશે.
બીજા
દિવસની સવાર પડી. તુલસી આજે મહેકતા બાગને પોતાના નામે કરવા જઈ રહી હોય એમ લાગતું. કાર્તિકના
માતા-પિતાની હાલત પાનખરમાં ખરતા પાન જેવી થઇ ચુકી હતી. અને આ બાગનો માલિક કાર્તિક હજુ
આજેય નિરાશ હતો. બાજુમાં પત્ની અને પાછળ બેઠેલા માતા-પિતાની સાથે કારમાં એ પુરપાટ
વેગે જઈ રહ્યો હતો. એનું મન આજે નિરાશાજનક વિચારોથી વ્યસ્ત હતું. આ વિચારોએ એના મગજની સાથે કારનું પણ બેલેન્સ
ગુમાવ્યું અને કાર સીધી ડીવાઈડર સાથે અને કાર્તિકનું માથું ડીવાઈડર પર રહેલા
થાંભલા જોડે અથડાયું. કાર્તિકને મોટી હેડ ઇન્જરી આવી. બાકીના ઘરના સભ્યોને સામાન્ય
ઈજા પહોંચી પણ કાર્તિકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.
પાનખરના
પાન તો ખરી જ પડ્યાતા અને તુલસીનો છોડ લજામણી જેમ મુરજાઈ ગયો તો. ત્રણેય જણાએ શું
કરવું એ સમજાતું ન હતું. કાર્તિકની હેડ ઇન્જરી સામાન્ય ન હતી અને તેને માટે
તાત્કાલિક ઓપેરેશન કરવું પડે તેમ હતું. હોસ્પિટલના એક વોર્ડબોયે સોનાક્ષીબેનને
ઓપેરેશન કરવાની સંમતી આપતા કાગળ પર સહી કરવાનું પૂછ્યું. ‘આ કાગળ પર કોણ સહી
કરશે?’ ત્યાં જ કાર્તિકનો વકીલ અને જુનો મિત્ર શ્રીધર આવ્યો અને બોલ્યો, ‘શું થયું
કાર્તિકને અચાનક? પહેલા તો એણે મને આવા કાગળ બનાવવા કહ્યું અને હવે એનું ઓપેરશન
કરવાનું છે.’ શ્રીધરે કાગળ જેવા તુલસીના હાથમાં મુક્યા કે તુલસીના ચહેરાનો રંગ ઉડી
ગયો.
શ્રીધર
જે કાગળ લાયો હતો એ કાર્તિક અને તુલસીના છૂટાછેડાના હતા. શ્રીધરે તુલસીને કહ્યું
કે, ‘કાર્તિકે તેને આ ડાઈવોર્સ પેપર તૈયાર કરવાના કીધા હતા. એને મેં ખુબ સમજાવ્યો
કે તું આવું શું કામ કરે છે.’ શ્રીધરે
પોતાના અને કાર્તિક વચ્ચે થયેલી બધી જ વાત ઊંડાણથી કહી. કાર્તિકે શ્રીધરને કહ્યું
હતું કે, ‘જો તુલસી મને એમ કહેત કે તું મને છૂટાછેડા આપી દે તો હું ક્યારેય એને
છૂટાછેડા ના આપત પણ એણે મારા માતાપિતાને વૃધ્ધાશ્રમમાં મુકવાની વાતને મંજુર કરી
ત્યારે જ હું એને મારી જિંદગીથી છૂટી કરવાનો નિર્ણય લઇ ચુક્યોતો.’
ડાઈવોર્સના
પેપરનું મહત્વ અત્યારે ખૂટી ગયું હતું પણ વોર્ડબોયે આપેલા ઓપેરેશનના કાગળ પર સહીની
જરૂર હતી. સોનાક્ષીબેને તુલસીના હાથમાં ઓપેરેશનનું કાગળ મુકતા કહ્યું, ‘પેલા દિવસે
કાર્તિકે અમને રૂમમાં તમારા જુદા થવાની વાત કરી હતી જે મેં તને પણ પૂછી હતી અને તે
જવાબ ન તો આપ્યો. પણ દીકરી, હજુય તું મારા કાર્તિકની પત્ની અને અમારા ઘરની વહુ છે
એટલે આ કાગળ પર તારે જ સહી કરવી પડશે.’ એક સહીનું મહત્વ કેટલી જિંદગી દાવ પર લગાવી
દે છે પછી એ ડાઈવોર્સના પેપર હોય કે ઓપેરશનના કાગળ.....
ચોધાર
આંસુઓંની સાથે તુલસીએ ઓપેરશનને પરવાનગી આપતા કાગળ પર સહી કરી. ડાઈવોર્સના પેપર પર
સહી કરવાની જરૂર જ ન પડી છતાંય તુલસી કાર્તિકથી વિખુટી પડી. કાર્તિકને ડોક્ટર ના
બચાવી શક્યા. એક માળીના મૃત્યુથી જે દુઃખ ફૂલછોડ કે બાગને થાય એટલું જ દુ:ખ ઘરના
બધા જ સભ્યોને થયું. એક જવાનના મૌતથી સાસુ-વહુ હવે જાણે એક થઇ ગયા તા, કાશ આ વસ્તુ
ભારત-પાકિસ્તાન સમજી શકતા હોત તો કેટલાય જવાનો બચી જતા.
તુલસીને
હવે સુખમાં ખોયેલા પતિ કરતા દુઃખમાં મળેલા સાસુ-સસરા વધુ સારા લાગવા લાગ્યા. એને
ગર્વમેન્ટ ઇન્સ્યોરન્સ એજન્ટની ટ્રેનિગ લીધી, પોતાનું ગુજરાન જાતે ચલાવવા લાગી,
સાથે સાથે સાસુ સસરા જોડે કાયમી રહેવાનો નિર્ણય પણ લીધો. સાસુ સસરા ધારત તો એને
અભાગી કહી કાઢી મૂકી હોત પણ એમણે સમય સાથે સોદો કરી લીધો હોય એમ પોતાના દીકરાના
મૌતને ભૂલી ગયા. ધીમે ધીમે સંબંધો સુધારવા લાગ્યા અને એવું લાગવા લાગ્યું કે
સોનાક્ષીબેનને તો ફક્ત એક દીકરી જ હતી.
ઘણીવાર
આ દીકરીને પોતાના પતિ વગર એકલવાયું પણ લાગતું. ઇન્સ્યોરન્સવાળા પણ પૈસા આપવામાં
ખુબ વાર લગાવી રહ્યા હતા. પોતાના પતિના મૌત બાદ મળતા ઇન્સ્યોરન્સના પૈસા તેણે
શ્રીધરની મદદથી પાછા મેળવ્યા. જીવનમાં હવે પતિ સિવાય બીજી કોઈ જ ખોટ ન હતી.
એક
દિવસ સોનાક્ષીબેને તુલસીને બોલાવી પૂછ્યું કે, ‘તને આ શ્રીધર કેવો લાગે છે. તું
કહે તો હું તારા માટે એની સાથે વાત કરું.’ તુલસી પહેલા તો ના પાડી. સાસુ અને સસરા
એ ભેગા મળી તુલસીને સમજાવી, ‘બેટા, તું હજી ખુબ નાની છે. અમારો દીકરો તો હવે પાછો
નથી આવવાનો, પણ તું તારી જિંદગીને ક્યાં સુધી આમ અમારી જોડે બાંધીને રાખીશ.’ સોનાક્ષીબેને
શ્રીધરને વાત કરી. થોડાક વિચારબાદ શ્રીધરે હા પાડી. બંનેના લગ્ન સફળ થયા. બસ માત્ર
વાંધો શ્રીધરના માતાનો હતો કે દીકરો બીજ-વહુને કેમ પરણ્યો.
લગ્નવિદાય
વખતે તુલસી અને સોનાક્ષીબેન શ્રીધરના માતાનો ચહેરો પાળખી ગયા હતા. પણ આ વખતે
તુલસીએ સોનાક્ષીબેનને કહ્યું, ‘બા, તમે ચિંતા ન કરતા, હું આગળ બધું સંભાળી લઈશ’
અને ત્યારબાદ તુલસી પોતાના માતા પિતા જેવા સાસુ સસરાને છોડી નવા બાગમાં પહોંચી ગઈ
અને પોતાના નામ મુજબ આખા ઘરને પવિત્ર સ્વભાવથી મહેકાવી દીધું. ઘરે પાછા ફરતાની
સાથે જ સોનાક્ષીબેન અને એમના પતિના મુખમાંથી જે પહેલો શબ્દ ઉચ્ચારાયો એ ‘હાશ’ હતો.
એ આજે એક વહુ નહિ પણ દીકરી પરણાવી આવ્યા હતા. થોડાક દિવસબાદ તુલસીની વર્તણુંકથી નવા
સાસુએ પણ તેણે દીકરી તરીકે સ્વીકારી લીધી હતી કારણ કે હવે તુલસીના કોઈ પાનમાં કડવાશ
ન હતી.....
અંતિમ સ્પર્શ:
અંતિમ સ્પર્શ:
“માં
હોય, દીકરી હોય કે હોય એ પછી
વહુ,
લાગણી સભર રહ્યા આ નારીના રૂપો સહુ”
લાગણી સભર રહ્યા આ નારીના રૂપો સહુ”
-
- નિશાંક મોદી ‘સ્પર્શ:’
- નિશાંક મોદી ‘સ્પર્શ:’